ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પ્રખ્યાત રાજપરા ખોડિયાર મંદિર પાસે આવેલા તળાવમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. સિહોર જીઆઈડીસી નંબર-1માં આવેલી બાબા રામદેવ સરિયા મિલમાં મજૂરીકામ કરતા શંકર ચૂનારામ નાયક (ઉંમર વર્ષ ૨૨, રહે. દૂગારગઢ, બિકાનેર, રાજસ્થાન), હુકમરામ અને મનોજ નાયક નામના યુવકો તળાવમાં નાહવા માટે પડ્યા હતા. આ દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી શંકર નાયક પાણીમાં ડૂબી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તળાવના ઊંડા પાણીમાં યુવકને શોધવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકોની ભારે જહેમત અને સઘન શોધખોળ બાદ આખરે ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.





