રિલાયન્સ ગૃપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે. આજે છઠ્ઠા દિવસે રાત્રે ત્રણ વાગ્યે તેમણે સોનરડી ગામના પાટીયા પાસેથી પદયાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યે ગુરગઢ ગામના પાટીયા પાસે પૂરી કરી હતી. છ દિવસમાં અનંત અંબાણીએ 60 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. આજે મહિલાઓએ કંકુ તિલક કરીને અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું. જ્યારે બાળાઓએ દ્વારકાધીશનો ફોટો આપીને વનતારા આવવાનું કહેતાં અનંત અંબાણીએ આમંત્રણ આપતા કહ્યું હતું કે, તમે બધા ચોક્કસથી વનતારાની મુલાકાતે આવજો.
છેલ્લા છ દિવસથી એટલે કે 28 માર્ચથી અનંત અંબાણી રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણીની પદયાત્રા દરમિયાન માર્ગ પર મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ, યુવાનો તેમજ વડીલો અનંત અંબાણીની ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળે છે અને હર્ષભેર સ્વાગત કરે છે. આજે છઠ્ઠા દિવસે મહિલાઓએ કંકુ-તિલક, ચોખા અને બાળકોએ દ્વારકાધીશનો ફોટો આપી અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું.
અનંત અંબાણીની પદયાત્રાના છઠ્ઠા દિવસે બાળાઓએ અનંત અંબાણીને વનતારાની વિઝીટ કરવાનું કહ્યું તો અનંત અંબાણીએ સામે જવાબ આપતા કહ્યું કે, તમે બધા આવો તમને વનતારાની વિઝીટ કરાવીશ. આ દરમિયાન નિધિ દાવડા નામની એક બાળકીએ અનંત અંબાણીને એક કવર આપ્યું હતું અને કહ્યું હતું કે, આમાં અમારા માતા-પિતાનો કોન્ટેક નંબર છે. તમે આમાં કોન્ટેક કરીને અમને વનતારાની મુલાકાત કરવા બોલાવજો. ત્યારે અનંત અંબાણીએ કવર સ્વિકારીને હસતા હસતા ચોક્કસ બોલાવવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત અનંત અંબાણીએ બાળાઓને નાસ્તો આપ્યો હતો.
રસ્તામાં નાસ્તા અને ફ્રુટનું અવિરત વિતરણ
અનંત અંબાણી પદયાત્રામાં હનુમાન ચાલીસા, શ્રીરામ જય રામ..જયજય રામ… ગાયત્રીના પાઠ, હરહર મહાદેવ, જય દ્વારકાધીશના નારાઓ બોલતા જાય છે અને પદયાત્રા કરતા જાય ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. રસ્તામાં તેઓ તમામ બાળકો, વડિલો અને યુવાનોને પ્રસાદી રૂપે નાસ્તો, ઠંડુ પીણું અને ફ્રુટ સહિતની વસ્તુઓ પણ સતત આપતા રહે છે. ખાસ કરીને નાના બાળકો અનંત અંબાણીને જોવા માટે મોડી રાતથી વહેલી સવાર સુધી રસ્તા ઉપર જોવા મળે છે અને અનંત અંબાણીને જોઈને જય દ્વારકાધીશ…જય દ્વારકાધીશના નારા લગાવે છે.