ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાને 4.25 કરોડથી વધુની કિંમતનો સોનાનો મુગટ ભેટમાં આપવામાં આવ્યો છે. ભક્તોએ અર્પણ કરેલા દાગીનામાંથી આ મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 3 કિલો સોનું અને 700 ગ્રામ હીરા સહિત નવરત્નોનો ઉપયોગ કરી આ મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને બનાવવામાં અંદાજીત 3 મહિનાથી વધુનો સમય લાગ્યો હતો.
શામળાજી ભક્તોની અતૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે. આજે ભગવાનને પહેરાવવામાં આવેલા આ મુગટથી મંદિરની શોભામાં અભૂતપૂર્વ વધારો થયો છે. મુગટની ઝળહળતી ચમક અને નવરત્નોની સુંદરતાએ મંદિરના વાતાવરણને વધુ પવિત્ર અને આકર્ષક બનાવ્યું છે. ભક્તોની શ્રદ્ધાના પ્રતીક સમાન આ મુગટથી ભગવાન શામળિયા વધુ ઝળહળી રહ્યા છે.ભગવાનને અર્પણ કરવામાં આવેલો આ મુગટ ભક્તો દ્વારા અર્પણ કરાયેલા સોના-ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવ્યો છે. શામળાજી મંદિરમાં દૂર-દૂરથી ભક્તો કાળિયા ઠાકરનાં દર્શન કરવા આવે છે અને પોતાની શ્રદ્ધા અનુસાર ભેટ-સોગાદ અર્પણ કરે છે. આ ભેટ-સોગાદોનો ઉપયોગ મંદિરના વિકાસ અને ભગવાનના શણગાર માટે કરવામાં આવે છે.
આ કલાત્મક મુગટ અમદાવાદની શ્રીહરિ ક્રિએશન કંપનીના 10થી વધુ કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો છે. મુગટનું કુલ વજન 3 કિલો છે, જેમાં 700 ગ્રામ હીરા જડવામાં આવ્યા છે. આ ઉપરાંત, મુગટમાં કલગી અને કુંડળ સહિત નવરત્નો પણ જડવામાં આવ્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. આ ભવ્ય મુગટને બનાવવામાં લગભગ 3 મહિનાનો સમય લાગ્યો હતો, જે કારીગરોની મહેનત અને કલાત્મકતાનો પુરાવો છે. ખાસ વાત એ છે કે, કારીગરોએ મજૂરી પણ માફ કરી દીધી છે, જે તેમની ભક્તિ અને સમર્પણને દર્શાવે છે.