ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404.512 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાંથી 99 ટકા જેટલું તો માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ને પ્રાપ્ત થયું છે. ભાજપને એક વર્ષમાં દાન પેટે 401.982 કરોડ રૂપિયા, જ્યારે કોંગ્રેસને 2.455 કરોડ રૂપિયાનું દાન મળેલું છે. પાન કાર્ડ વગર બેંકમાં પોતાના ખાતામાંજ નાણા જમા થઈ શકતા નથી કે લોન મેળવી શકાતી નથી, પરંતુ રાજકીય પક્ષોને દાન મળી શકે છે. 2023-24માં ગુજરાતમાંથી પાનકાર્ડ વગર ભાજપને 1.33 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. જેમાંથી બહુ ઓછી જાણીતી નારાયણ રિયલ્ટી એન્ડ સાઈરૂચી નામની કંપનીએ એકલા 50 લાખ ડોનેશન કર્યું છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ભાજપને કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસ પાસેથી કુલ 1373 ડોનેશન પ્રાપ્ત થયેલા છે. તેમને કુલ 365.114 કરોડનું દાન મળેલું આમ, ભાજપને એક વર્ષમાં જે કુલ દાન મળ્યું છે તેમાંથી 90 ટકાથી વધુમાં કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસનું યોગદાન છે. જેની સરખામણીએ કોંગ્રેસને 6 કોર્પોરેટ જૂથ પાસેથી 2.027 કરોડ રૂપિયાનું દાન મળેલું છે.
બીજી તરફ આપને 3 કોર્પોરેટ જૂથ પાસેથી દાન પ્રાપ્ત થયું છે. ભાજપને 736 વ્યક્તિગત પાસેથી 36.798 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાની વિગત સામે આવી છે. કોંગ્રેસને વ્યક્તિગત તરફથી 30 જેટલા દાન મળેલા છે. રાજકીય પક્ષોને દાન આપવામાં બિલ્ડરો-કોન્ટ્રાક્ટરો મોખરાનું સ્થાન ધરાવે છે. ઉલ્લેખીય છે કે, દરેક રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષ દરમિયાન મળેલા દાનની વિગત ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર સુધી ફરજિયાત આપવાની હોય છે. વર્ષ 2016-17માં ભાજપને 174 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આમ, 9 વર્ષમાં ભાજપને મળેલા દાનમાં બમણાથી પણ વધુનો વધારો થયો છે.