2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલી આપ્યો છે. એજન્સીએ કોર્ટ પાસેથી 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સ્પેશિયલ NIA જજ ચંદ્રજીત સિંહે બંધ રૂમમાં કેસની સુનાવણી કરી અને ગુરુવારે મોડી રાત્રે 2 વાગ્યે ચુકાદો સંભળાવ્યો.
64 વર્ષના તહવ્વુર રાણાને 10 એપ્રિલે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. ગુરુવારે સાંજે લગભગ 6:30 વાગ્યે રાણાને લઈને યુએસ ગલ્ફસ્ટ્રીમ G550 વિમાન દિલ્હીના પાલમ ટેક્નિકલ એરપોર્ટ પર ઉતર્યું. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ થયું, ત્યાર બાદ તેને સીધો NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો.ભારત પહોંચ્યા પછી રાણાની પહેલી તસવીર પણ સામે આવી, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના અધિકારીઓ તેને પકડીને ઉભા જોવા મળ્યા.
મુંબઈ હુમલાના બીજા આરોપી ડેવિડ કોલમેન હેડલીએ ભારત આવતા પહેલા તહવ્વુર રાણા સાથે સમગ્ર કામગીરીની ચર્ચા કરી હતી. હુમલા દરમિયાન આવનારા પડકારોનો અંદાજ લગાવીને, હેડલીએ રાણાને એક ઈમેલ મોકલ્યો હતો, જેમાં તેની વસ્તુઓ અને સંપત્તિની વિગતો આપવામાં આવી હતી.હેડલીએ રાણાને ઇલ્યાસ કાશ્મીરી અને અબ્દુર રહેમાનની કાવતરામાં સંડોવણી વિશે પણ માહિતી આપી હતી.