માળીયાહાટીના ખાતે કટલેરીના વેપારીના 14 વર્ષીય પુત્રએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતાએ ભણવામાં ધ્યાન આપવા બાબતે ઠપકો આપતા પુત્રને લાગી આવ્યું હતું અને આ પગલુ ભરી લીધું હતું. પુત્રએ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ સમગ્ર ઘટના અંગે મળતી વિગત મુજબ કટલેરીનો વેપાર કરતા અરવિંદ વીરજી ગોરાશાનો 14 વર્ષીય પુત્ર કે જે ધોરણ 9નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 10 એસએસસી બોર્ડમાં આવતા માતા-પિતા દ્વારા ભણવા બાબતે ધ્યાન દેવા ઠપકો આપ્યો હતો. જે બાબતે સગીરને લાગી આવતા સાંજે ઘરે માતા રસોડામાં વ્યસ્ત હોય ગળાફાંસો ખાઈ લીધો હતો.આ અંગે જાણ થતા પરિવાર તથા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યાં હતા અને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિદ્યાર્થીને ખસેડ્યો હતો. જ્યા ફરજ પરના ડોક્ટરે સગીરને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
DYSP દિનેશ કોડીયાતરે જણાવ્યું હતું કે, માળીયાહાટીના પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો બનાવ નોંધાયો છે. માળિયા હાટીના ગામે રહેતા અરવિંદભાઈ ગોરાસાના નવમા ધોરણમાં અભ્યાસ કરતો મોટો પુત્ર દસમા ધોરણમાં અભ્યાસ કરવા માટે જવાનો હતો. ત્યારે પિતા અરવિંદભાઈએ પોતાના દીકરાને ધોરણ 10 માં ભણવામાં ધ્યાન આપે તેઓ ઠપકો આપ્યો હતો. જોકે, પુત્રને ઠપકો મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મારીયાહાટીના પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.