ભગવાન જગન્નાથની રથયાત્રાનું રંગેચંગે આગમન થયું છે. જોકે, આ દરમિયાન વચ્ચે એક વિઘ્ન આવ્યું છે. રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી નહતી મચી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ, ખાડિયા ઘાંચીની પોળ પાસેથી પસાર થતી વખતે ડી.જે અને વધુ પડતા લાઉડ સ્પીકરના કારણે ગજરાજ ભડક્યા હતા, જેના કારણે બેથી ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. મહાવત અને અને સુરક્ષા કર્મચારીઓએ મહા મહેનતે ગજરાજોને કાબૂમાં લીધા હતા. ત્યારબાદ એક નર અને બે માદા હાથીને કવર કરીને સાઇડમાં કરી દેવાયા છે અને રથયાત્રાના રૂટમાં જોડવાથી બાકાત કરવામાં આવ્યા છે.