રાજસ્થાનના જયપુરમાં એક આશ્ચર્ય ઉપજાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે , જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ
કાર્યવાહી કરતી એજન્સી એન્ટી કરપ્શન બ્યુરોના એક અધિકારી પોતે જ ભ્રષ્ટાચાર કરતાં ઝડપાયા છે.
જયપુરમાં એન્ટી કરપ્શન બ્યુરોના એક અધિકારી પાસેથી 9.35 લાખ રૂપિયા મળી આવ્યા હતા.
એસીબીની સ્પેશિયલ ટીમે પોતાના જ વિભાગના એક અધિકારી સામે કાર્યવાહી કરતી વખતે રોકડ રકમ
જપ્ત કરી છે અને હવે આરોપી અધિકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેના પગલે આ
એજન્સીની કામગીરી મુદ્દે પ્રશ્નો ઉભા થયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ એસીબી મુખ્યાલયની સૂચના પર શુક્રવારે, સ્પેશિયલ યુનિટની ટીમે
એસીબીના એડિશનલ એસપી જગારામ મીણાની કારની તલાશી લીધી હતી. જેમાંથી 9 લાખ 35 હજાર
રૂપિયા રોકડા મળી આવ્યા હતા.આ કાર્યવાહી જયપુરને અડીને આવેલા શિવદાસપુરા ટોલ પ્લાઝા પર
કરવામાં આવી હતી, જ્યારે જગારામ મીણા ઝાલાવાડથી જયપુર પરત ફરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા
અનુસાર, એસીબીની એક ખાસ ટીમ દ્વારા મીણાની કારની તલાશી લેવામાં આવી હતી, જેનું નેતૃત્વ
એસીબીના એડિશનલ એસપી પુષ્પેન્દ્ર સિંહ રાઠોડ કરી રહ્યા હતા. ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે
કારમાં ગેરકાયદે રોકડ હોઈ શકે છે. જેના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન એસપી મીણાની હાજરીમાં કારની તલાશી લેવામાં આવી હતી અને રોકડ મળી
આવ્યા બાદ, નોટો ગણી અને જપ્ત કરવામાં આવી હતી. હાલમાં રોકડના સ્ત્રોત વિશે પૂછપરછ કરવામાં
આવી રહી છે. એડિશનલ એસપી રાઠોડે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ આ
કાર્યવાહી કરવામાં આવી છે અને જો કોઈ વ્યક્તિ, ભલે તે ગમે તે હોદ્દો ધરાવે છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં
સંડોવાયેલો જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.