ગુજરાત હાઈ કોર્ટે 2013ના બળાત્કાર કેસમાં આસારામને મોટી રાહત આપી છે. હાઈ કોર્ટે તેમના
વચગાળાના જામીન 7 જુલાઈ, 2025 સુધી લંબાવ્યા છે. આસારામને ગાંધીનગરની સેશન્સ કોર્ટે 2013ના
બળાત્કારના કેસમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમના વચગાળાની જામીન 30
જૂને પૂરી થવાના હતા.
ન્યાયમૂર્તિ ઈલેશ વોરા અને ન્યાયમૂર્તિ સંદીપ ભટ્ટની ખંડપીઠે આસારામના વચગાળાના જામીનની મુદ્દત
લંબાવી છે, જેથી તેમના વકીલો અરજી સંબંધિત જરૂરી દસ્તાવેજો રજૂ કરી શકે. હાઈ કોર્ટે જણાવ્યું કે આ
કેસની સુનાવણી 2 જુલાઈના રોજ થશે. અગાઉ, હાઈ કોર્ટે 28 માર્ચના રોજ આપેલા વચગાળાના જામીન
ત્રણ મહિના માટે લંબાવ્યા હતા, જે 30 જૂનના પૂરી થવાના હતા.
જસ્ટિસ ઈલેશ જે. વોરા અને જસ્ટિસ પી.એમ. રાવલની ખંડપીઠે જણાવ્યું કે “બંને પક્ષોની દલીલો
સાંભળવામાં આવી છે. વર્તમાન કેસના વિશિષ્ટ તથ્યોને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને નેશનલ લીગલ
સર્વિસિસ ઓથોરિટીનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને કારણે અમે વચગાળાના જામીન 7 જુલાઈ સુધી
લંબાવવા તૈયાર છીએ.