CBIએ કથિત આર્થિક ગુનેગાર મોનિકા કપૂરની અમેરિકાથી ધરપકડ કરી છે. 23 વર્ષથી ફરાર મોનિકાને આજે રાત્રે સીબીઆઈ ટીમ ભારત લાવશે. આને ભારતીય એજન્સીઓની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. આ કાર્યવાહી 9 જુલાઈ, 2025 ના રોજ પૂર્ણ થઈ હતી. મોનિકા કપૂર 2002ના આયાત-નિકાસ છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી હતી.
મોનિકા ઓવરસીઝની માલિક મોનિકા કપૂરે તેના બે ભાઈઓ રાજન ખન્ના અને રાજીવ ખન્ના સાથે મળીને શિપિંગ બિલ, ઇન્વોઇસ અને બેન્ક સર્ટિફિકેટ જેવા નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે, તેણે 1998 માં 6 રિપ્લેનિશમેન્ટ લાઇસન્સ મેળવ્યા હતા, જેની મદદથી 2.36 કરોડ રૂપિયાનું ડ્યુટી-ફ્રી સોનું આયાત કરવામાં આવ્યું હતું. આ પછી, આ લાઇસન્સ અમદાવાદ સ્થિત કંપની ડીપ એક્સપોર્ટ્સને પ્રીમિયમ પર વેચવામાં આવ્યા હતા. ડીપ એક્સપોર્ટ્સે તેનો ઉપયોગ સોનાની આયાત કરવા માટે કર્યો હતો, જેના કારણે સરકારને 1.44 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
સીબીઆઈ તપાસ બાદ, 31 માર્ચ, 2004ના રોજ મોનિકા કપૂર, રાજન ખન્ના અને રાજીવ ખન્ના વિરુદ્ધ આઈપીસીની કલમ 120-b, 420, 467, 468 અને 471 હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. દિલ્હીની સાકેત કોર્ટે 20 ડિસેમ્બર, 2017ના રોજ રાજન અને રાજીવ ખન્નાને દોષિત ઠેરવ્યા હતા. પરંતુ મોનિકા કપૂર તપાસ અને ટ્રાયલથી દૂર રહી. 13 ફેબ્રુઆરી, 2006ના રોજ કોર્ટે તેને ગુનેગાર જાહેર કરી હતી અને 2010માં તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી.સીબીઆઈએ 2010માં અમેરિકાથી મોનિકા કપૂરના પ્રત્યાર્પણ માટે વિનંતી મોકલી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા અને અમેરિકન એજન્સીઓ સાથે સતત સંકલન પછી, આખરે તેને ભારત લાવવામાં આવી હતી. સીબીઆઈ ટીમ પોતે અમેરિકા ગઈ હતી અને તેને કસ્ટડીમાં લઈને ભારત પરત ફરી રહી છે. હવે મોનિકા કપૂરને ભારતીય કોર્ટમાં રજૂ કરવામાં આવશે.