ગત વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી અંદોલન બાદ દેશભરમાં વ્યાપક હિંસા થઇ હતી, તત્કાલીન વડાપ્રધાન
શેખ હસીનાના રાજીનામાં બાદ હાલ મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર સાશન
ચલાવી રહી છે. ઘણા મહિનાઓની શાંતિ બાદ બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય હિંસાનો બનાવ બન્યો
છે. ગઈ કાલે બુધવારે ગોપાલગંજ શહેરમાં નેશનલ સિટીઝન પાર્ટીની જાહેર રેલીમાં હિંસા ફાટી નીકળી
હતી, આ દરમિયાન થયેલી અથડામણોમાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે અને 9 લોકો
ઘાયલ થયા છે.
ગોપાલગંજ પૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને તેમના પિતા શેખ મુજીબુર રહેમાનનું વતન છે. યુનુસ
સમર્થિત NCP અને શેખ હસીનાની અવામી લીગના વિદ્યાર્થી સંગઠનોના સભ્યો આમને સમાને આવી
ગયા હતાં, ત્યાર બાદ હિંસક અથડામણ શરુ થઈ હતી.હાલ સમગ્ર વિસ્તારમાં તણાવભર્યો માહોલ છે,
વિસ્તારમાં 22 કલાકનો કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશની ચાર એડીશનલ પ્લાટૂન
તૈનાત કરવામાં આવી છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આ હિંસા માટે આવામી લીગને
જવાબદાર ઠેરવી છે, યુનુસે આવામી લીગની નિંદા કરી છે. તેમણે કહ્યું કે કોઈને શાંતિપૂર્ણ રેલી કાઢતા
અટકાવવામાં આવે એ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. હિંસા કરનારાઓને સામે કાયદા મુજબ
કાર્યવાહી કરવામાં આવશે.