ભારતના તમામ એરપોર્ટ પર સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગુપ્ત એજન્સીઓએ આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 માટે આપવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત બ્યૂરો ઓફ સિવિલ એવિયેશન સિક્યોરિટીએ 4 ઓગસ્ટના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું જેમાં તમામ એરપોર્ટ્સ, એરસ્ટ્રીપ, હેલિપેડ, ફ્લાઈંગ સ્કૂલ અને ટ્રેનિંગ સંસ્થાઓમાં સુરક્ષા કડક કરવાના નિર્દેશ આપ્યા હતા.
એરપોર્ટ ટર્મિનલ, પાર્કિંગ, પેરિમીટર ઝોન અને અન્ય સંવેદનશીલ સ્થળોમાં સતત પેટ્રોલિંગ અને દેખરેખની સલાહ આપવામાં આવી છે. તે સિવાય તમામ સીસીટીવી સિસ્ટમને નોન સ્ટોપ એક્ટિવ મોડમાં રાખવામાં આવે અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળે તો તરત તેની તપાસ કરવામાં આવે.નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓ પાસેથી પ્રાપ્ત થયેલા ઈનપુટમાં આતંકવાદી અથવા અસામાજિક તત્વો દ્ધારા સંભવિત ખતરાની આશંકા છે. એવામાં કોઈ પણ અપ્રિય ઘટનાથી બચવા માટે તમામ સ્થળો પર સતર્કતા અને દેખરેખ રાખવાનું કહેવામાં આવ્યું છે.