પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદે ટેન્શન વધી ગયું છે. સામસામે ગોળીબાર તથા હવાઈ હુમલા થઇ રહ્યા છે. બંને દેશો વચ્ચે શુક્રવારે 48 કલાકના સીઝફાયર અંગે સહમતિ થયાના અમુક જ કલાક બાદ તાલિબાને પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કરવાનો આરોપ મૂક્યો.
પાકિસ્તાને ડુરુન્ડ લાઈનની નજીક પક્તિકા પ્રાંતના અનેક જિલ્લાને નિશાન બનાવતા હવાઈ હુમલા કર્યા હતા. જ્યારે આ હુમલામાં 3 અફઘાની ક્રિકેટર્સ સહિત કુલ 10 લોકો મૃત્યુ પામી ગયા હતા. આ મામલે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ પાકિસ્તાનના હવાઈ હુમલામાં ત્રણ ક્રિકેટર્સ ગુમાવવા પર ગાઢ શોક વ્યક્ત કર્યો હતો. આ દુઃખદ ઘટના પક્તિકા પ્રાંતના ઉરગુન જિલ્લામાં બની હતી જ્યાં પાકિસ્તાની એર સ્ટ્રાઈકમાં અફઘાની ક્રિકેટર કબીર, સિબગાતુલ્લા અને હારુન સહિત કુલ 10 લોકો મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાની પણ માહિતી છે જેમાંથી ઘણાની હાલત નાજુક હવાથી મૃતકાંક વધવાની શક્યતા છે. અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડે આ હવાઈ હુમલા બાદ નિર્ણય કર્યો હતો કે અમે આગામી ત્રિકોણીય T20 શ્રેણીમાં ભાગ નહીં લઇએ કેમ કે આ સિરીઝમાં પાકિસ્તાન પણ રમવાનું હતું. આ શ્રેણી નવેમ્બરના અંતે રમાવાની હતી.






