મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈ મોટા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બુલેટ
ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. પીએમ મોદી 15 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ
ગુજરાતના ડેડિયાપાડાની મુલાકાત લેશે. આ મુલાકાત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ‘આદિવાસી ગૌરવ દિવસ’ની
ઉજવણીના ભાગરૂપે યોજાશે. વડાપ્રધાન મોદી આ દિવસે મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન
બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. કેન્દ્ર સરકારે બિરસા મુંડાની જન્મજયંતિને
‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે જાહેર કરી છે.
PM મોદી આ દિવસે ડેડિયાપાડામાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે અને દેશભરમાં થનારી
150મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવશે. આ ઉજવણી થકી આદિવાસી સમુદાયના યોગદાન
અને સંસ્કૃતિને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર
ઉતર્યા બાદ ત્યાંથી હેલિકોપ્ટર મારફતે સીધા ડેડિયાપાડા પહોંચશે. તેઓ કાર્યક્રમમાં આદિવાસી
સમુદાયના લોકોને સંબોધિત કરશે અને વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અથવા લોકાર્પણ કરે તેવી
સંભાવના છે.
આ દરમિયાન પીએમ મોદી સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા કરી
શકે છે. અગાઉ રેલ વિભાગે 2026 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. બુલેટ ટ્રેન
કામગીરીની સમીક્ષા બાદ અધિકારીઓ સાથે વડાપ્રધાન બેઠક કરશે અને અત્યાર સુધીની કામગીરીની
માહિતી મેળવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.






