વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગની મુલાકાતે જવા રવાના થયા છે. તેઓ અહીં 21 નવેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન આયોજિત થઈ રહેલા G-20 શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં વડાપ્રધાન મોદી ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે અને વિશ્વના અન્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
દક્ષિણ આફ્રિકાની મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું, “હું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર જ્હોનિસબર્ગમાં આયોજિત 20મા G-20 લીડર્સ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યો છું.” પીએમ મોદીએ આ સમિટને ‘ખાસ’ ગણાવતા કહ્યું કે, “આ એક વિશેષ સમિટ હશે કારણ કે આ આફ્રિકામાં યોજાનારી પ્રથમ G-20 સમિટ છે.” તેમણે યાદ અપાવ્યું કે 2023માં G-20ની ભારતની અધ્યક્ષતા દરમિયાન જ, આફ્રિકન યુનિયન G-20નું કાયમી સભ્ય બન્યું હતું.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ત્રણ મુખ્ય સત્રોને સંબોધિત કરી શકે છે, જેમાં સમાવેશી અને ટકાઉ આર્થિક વિકાસ, જેમાં કોઈ વંચિત ન રહે,એક ગતિશીલ વિશ્વ – G20નું યોગદાન (આપત્તિ જોખમ અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત) અને બધા માટે નિષ્પક્ષ અને ન્યાયી ભવિષ્ય માટેના ત્રણ સત્રોમાં તેઓ સંબોધન કરશે.
આ ઉપરાંત, વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકા દ્વારા આયોજિત ઇન્ડિયા-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા (IBSA) લીડર્સ બેઠકમાં પણ ભાગ લેશે.






