સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઔદ્યોગિક વસાહત નજીક આવેલા ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે
એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત
ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને
મુખ્યમંત્રીના આગમનને લઈ બ્રિજ પર સમારકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના
બની છે.
આ ઘટનાની વિગત એવી છે કે, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી આજે
હિંમતનગર-ચિલોડા હાઈવેના નિરીક્ષણ માટે આવવાના હોવાથી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા
દ્વારા આ હાઈવે પરની ક્ષતિઓ દૂર કરવા માટે યુદ્ધના ધોરણે રાત-દિવસ સમારકામ હાથ ધરવામાં આવ્યું
હતું. આ કામગીરી અંતર્ગત જીઆઈડીસી ઓવરબ્રિજ પર પણ કામ ચાલી રહ્યું હતું.
વહેલી સવારના સુમારે, જ્યારે કર્મચારીઓ અને એન્જિનિયર રોડ રોલર વડે કામ કરી રહ્યા હતા, ત્યારે
પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલર ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેલર સીધું જ રોડ
રોલર સાથે અથડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે રોડ રોલર અને ટ્રેલર બંને પલટી ખાઈ ગયા
હતા, અને ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો તથા કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર તેની નીચે
કચડાઈ ગયા હતા.




