અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાને કારણે સપ્તાહના પ્રથમ દિવસે જ બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાઈ ગયો છે.
ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારે વેચવાલી જોવા મળી છે, જેના કારણે બીએસસી સેન્સેક્સ તેના અગાઉના બંધ ભાવ 77,550.25 ની સામે 75,937.16 પર નબળાઈ સાથે ઓપન થયો હતો. બજારમાં ઘટાડો ચાલુ રહેતા તે 75,923.32 ના સ્તર સુધી નીચે સરક્યો હતો, જે અંદાજે 1,626.93 પોઈન્ટ અથવા 2.10% નો મોટો કડાકો દર્શાવે છે. આજના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 76,339.30 ની ઊંચી સપાટી અને 75,868.32 ની નીચી સપાટી જોવા મળી છે.
બીજી તરફ, નિફ્ટી 50 માં પણ સમાન સ્થિતિ જોવા મળી હતી. નિફ્ટી તેના અગાઉના બંધ 24,050.60 ની સામે 23,589.60 પર ખુલ્યો હતો અને ઘટીને 23,576.00 ના સ્તર પર પહોંચ્યો હતો. નિફ્ટીમાં કુલ 474.60 પોઈન્ટ અથવા 1.97% નો ઘટાડો નોંધાયો છે. દિવસ દરમિયાન નિફ્ટીએ 23,699.70 નો હાઈ અને 23,555.60 નો લો બનાવ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જવાથી વૈશ્વિક સ્તરે સર્જાયેલા તણાવને કારણે બજારમાં આ ગાબડું જોવા મળ્યું છે.પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 21 કલાકની શાંતિ મંત્રણા કોઈ પણ પરિણામ વગર નિષ્ફળ રહી છે. આ નિષ્ફળતાને પગલે મધ્ય પૂર્વમાં યુદ્ધનું જોખમ વધી ગયું છે. મંત્રણા નિષ્ફળ જતાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જે ભારત જેવા આયાતકાર દેશ માટે ચિંતાનો વિષય છે.ગ્લોબલ સેલ-ઓફ: યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાની બંદરોની નાકેબંધીના એલાન બાદ વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે.બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આઈટી, બેંકિંગ તથા રિયલ્ટી સેક્ટરના શેરોમાં સૌથી વધુ ગાબડા પડ્યા છે.




