એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ આજે બુધવારે સવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલ
અને તેમના પુત્રના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી
સાથે જોડાયેલા ફંડમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અને વિદેશી મુદ્રા કાયદાના ઉલ્લંઘન સંદર્ભે કરવામાં
આવી હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇડીની ટીમ યુનિવર્સિટી સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો અને ફંડના
દુરુપયોગની ફરિયાદો પર તપાસ કરી રહી છે. એજન્સી એ તપાસ કરી રહી છે કે શું યુનિવર્સિટીમાં
મળેલા દાન અથવા રોકાણમાં વિદેશી વિનિમય કાયદા ( ફેમા ) નું ઉલ્લંઘન થયું છે. સાંસદના પુત્ર પણ
અનેક વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાથી તેમના રહેઠાણ અને ઓફિસ પર પણ તપાસ ચાલી રહી
છે, જ્યાંથી મહત્વના ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આમ આદમી પાર્ટીના
સંયોજક કેજરીવાલે આ દરોડાને પંજાબમાં ભાજપની ચૂંટણી તૈયારી ગણાવતા કહ્યું કે, “મોદીજીએ
પંજાબમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ પંજાબના લોકો આ સહન નહીં કરે અને ભાજપને
કરારો જવાબ આપશે.” સાંસદ સંજય સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું કે જ્યાં ચૂંટણી હોય ત્યાં ભાજપ
પોતાની એજન્સીઓને પહેલા મોકલી દે છે. તેમણે આ કાર્યવાહીને રાજકીય પ્રતિશોધ ગણાવી છે.
નોંધનીય છે કે અશોક મિત્તલને તાજેતરમાં જ રાઘવ ચઢ્ઢાના સ્થાને રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના
ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.



