અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે થયેલી હિંસક
અથડામણમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી
સ્થિતિ સર્જાઈ હતી અને અજંપાભર્યો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વણસતા ઉશ્કેરાયેલા ટોળાએ
તોડફોડ અને આગચંપી શરૂ કરી હતી, જેના કારણે સ્થાનિક વેપારીઓએ સ્વયંભૂ બજારો બંધ રાખી
વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ગુજરાત સરકારની સુરક્ષા
વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા.
આ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું હતું કે, “ધંધુકામાં સહિત આખા રાજ્યમાં જે રીતે
ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે તે , સાબિત કરે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સાવ ભાંગી પડી
છે. એક પછી એક હત્યા થાય ત્યારે ચમરબંધીને પણ છોડીશું નહીંના મોટા-મોટા બણગા ફૂંકતિ ભાજપ
સરકાર પર કોઈને ભરોસો નથી રહ્યો.
એક્સ પર સવાલ કરતા તેમણે લખ્યું હતું કે શું પોલીસ માત્ર સામાન્ય જનતા અને વિપક્ષને ડરાવવા
માટે જ છે? ગુનેગારો બેખોફ બનીને છરીઓ ફેરવે છે અને સરકાર માત્ર ‘તપાસના આદેશ’ આપીને
સંતોષ માને છે. જો તમારામાં ત્રેવડ હોય તો એવી કાર્યવાહી કરો કે ફરી કોઈની હિંમત ના થાય, બાકી
સોશિયલ મીડિયા પર ‘રીલ’ બનાવવાથી કાયદો-વ્યવસ્થા નથી ચાલતી. તેમણે સરકારને પડકાર ફેંક્યો
હતો કે જો તમારાથી સુરક્ષા નથી સચવાતી તો ખુરશી ખાલી કરો. જનતાને ઠાલા આશ્વાસનો નહીં, પણ
ઉચીત કાર્યવાહી કરી ન્યાય અપાવે તેવી સરકાર પાસે અપેક્ષા છે.
મળતી માહિતી મુજબ, આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે 35 વર્ષીય ધર્મેશ નામના વ્યક્તિએ બાઇક
ઓવરટેક કરવા બાબતે બે યુવકો સાથે બોલાચાલી કરી હતી. આ સામાન્ય ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર
સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધર્મેશ ગમારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું
કરૂણ મોત નીપજ્યું હતું. આ હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા
અને વાહનો તેમજ મિલકતોને નિશાન બનાવી આગ ચાંપી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સહિતનો મોટો પોલીસ કાફલો
તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે કડક
કાર્યવાહી કરતા મુખ્ય આરોપીઓ સમીર અને રિઝવાન સહિત કુલ 17 લોકોની ધરપકડ કરી છે. હાલ
વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને શાંતિ જાળવવા અપીલ કરવામાં
આવી છે.



