ગણેશ વિસર્જન દરમ્યાન હરિયાણા અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં ડૂબી જવાથી ચાર બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા. જોકે આ દરમ્યાન અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
હરિયાણાના મહેન્દ્રગઢમાં બનેલી ઘટના અંગે સિવિલ સર્જન ડૉ.અશોક કુમારે જણાવ્યું હતું કે, 4 લોકોને મૃત અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.સાત ફૂટની મૂર્તિ વિસર્જન માટે લઈ જવામાં આવી રહી હતી આ દરમ્યાન પાણીના જોરદાર પ્રવાહમાં 9 યુવકો તણાઈ ગયા હતા. જિલ્લા પ્રશાસને NDRFની મદદ લીધી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમ્યાન ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે અન્યને બચાવી લેવામાં આવ્યા હતા.
આ તરફ ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં મૂર્તિ વિસર્જન જોવા ગયેલા ચાર બાળકોના અમી નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. ઘટના ખલીલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મોહમ્મદપુર કથાર ગામની છે. આ સાથે યુપીના ઉન્નાવ જિલ્લામાં ગણેશ વિસર્જન દરમ્યાન ગંગા નદીમાં નહાવાને કારણે બે સગીર છોકરાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા.