ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી ધામ ભક્તોમય બન્યું છે. આ સાથે શામળાજી સહિતના મંદિરોમાં ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું છે. આજે ભાદરવી પૂનમના મહા મેળાનો પાંચમો દિવસ છે વહેલી સવારથી જ માના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળે છે. જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે. વહેલી સવારના 5 વાગ્યાથી અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઇને પોલીસ પણ એલર્ટ છે.
આજના ભાદરવી પૂનમના દિવસે અંબાજી ટ્ર્સ્ટને રૂપિયા 4.50 કરોડ જેટલું દાન મળ્યું છે. માં અંબાનો ચાચર ચોક રોશનીથી ઝગમગી ઊઠયો છે. મા અંબાના ધામમાં અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આંખોને પણ આંજી દે તેવી રોશનીથી અંબે માનું મંદિર શણગારવામાં આવ્યું છે. અંબાજી ધામમાં છેલ્લા પાંચ દિવસથી ભક્તોનો સતત અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.
બીજી બાજુ શામળાજીમાં પણ ભાદરવી પૂનમ નિમિત્તે આજે હજારોની સંખ્યામાં ભક્તો મંદિરે ભગવાન શામળાજીના દર્શન કરવા ઉમટી પડયા છે. મોડીરાતથી જ મંદિર પરિસર ભક્તોથી ઉભરાઇ ગયું છે. આથી, ભક્તોના પ્રવાહને જોતા મંદિર એક કલાક વહેલું જ ખોલી દેવાયું છે. જિલ્લા પોલીસ વડાએ પણ સ્ટાફ સાથે પગપાળા આવીને ભગવાન શામળાજીના દર્શન કર્યા. મહત્વનું છે કે, દર વર્ષે ભાદરવી પૂર્ણિમાએ હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શને આવતા હોય છે.