“ગૌસોર્ટ ટેકનોલોજી વૈજ્ઞાનિક પશુપાલન અને આત્મનિર્ભર ડેરી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. આ ટેકનોલોજી ડેરી ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવા તેમજ ખેડૂતોની આવક મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.” તેમ માહી ડેરીના ૧૫માં સ્થાપના દિને સ્વદેશી ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત જેન્ડર સોર્ટેડ સીમેનના ડોઝથી કૃત્રિમ બીજદાનના કાર્યનો પ્રારંભ કરતા એન.ડી.ડી.બી.ના ચેરમેન ડો. મીનેશ શાહે જણાવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં દૂધનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. પરંતુ અન્ય દેશોની સરખામણીએ પશુદીઠ ઉત્પાદકતા ઘણી ઓછી છે. સામાન્ય રીતે કરાતા કૃત્રિમ બીજદાન દ્વારા નર તેમજ માદા પશુઓના જન્મની શક્યતા ૫૦:૫૦ ટકા હોય છે. તેથી માદા પશુઓનો જન્મદર વધારવા, પશુદીઠ દૂધ ઉત્પાદન વધારવા અને દૂધ ઉત્પાદન ખર્ચ ઘટાડવા જેવા ઉદ્દેશોને ધ્યાને લઇને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા પશુપાલન અને ડેરી વિભાગ, ભારત સરકારના સહયોગથી આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી ગૌસોર્ટ જેન્ડર સોર્ટેડ સીમેન ટેકનોલોજી વિકસીત કરવામાં આવી છે. આ ગૌસોર્ટ ટેકનોલોજીની મદદથી અલગ કરાયેલા સીમેન દ્વારા પશુપાલકોના પશુઓને કૃત્રિમ બીજદાન કરવામાં આવે તો માદા બચ્ચાના જન્મની શક્યતા ૯૦ ટકાથી વધી જાય છે. માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના દૂધ ઉત્પાદકોના પશુઓ માટે તેના ઉપયોગની શરૂઆત કરવા કોડીનાર ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એન.ડી.ડી.બી.ડેરી સર્વિસીસના મેનેજિંગ ડિરેક્ટર ડો. સી.પી.દેવાનંદે માહી ડેરીની પહેલને બિરદાવી આ ગૌસોર્ટ ટેકનોલોજી દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોની આવક વધવા સાથે ભવિષ્યના દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃધ્ધિનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે માહી ડેરીના ચેરમેન વિજયભાઇ ઓડેદરાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં વધુને વધુ દૂધ ઉત્પાદકોને આ ટેકનોલોજીના ઉપયોગ થકી તેમના પશુઓમાં કૃત્રિમ બીજદાન કરાવવા અપીલ કરી હતી. જ્યારે માહી ડેરીના ચીફ એક્ઝિક્યુટીવ આલોક કુમાર ગુપ્તાએ તમામ પશુપાલકોને આધુનિક પશુપાલન પધ્ધતિઓ અપનાવવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન કરાવવાથી ઉત્તમ નસ્લની માદા પશુઓનો જન્મદર વધવાથી દૂધ ઉત્પાદન વધશે અને તેના કારણે પશુપાલકોની આર્થિક ઉન્નતિ થશે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત માહી ડેરીના બોર્ડના સભ્યો, ડેરીના અધિકારીઓ તથા ગીર વિસ્તારના દૂધ ઉત્પાદક બહેનો અને ભાઇઓએ વાહનોને લીલી ઝંડી આપી કાર્યનું પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. વસંત કાલરીયાએ કર્યુ હતું.





