ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાંથી માતાજીના દર્શન કરવા માટે ભાલ પંથકના બાવળીયાળી ગામ તરફ સ્કૂટર પર નીકળેલા યુવાનનું સનેસ ગામ નજીક ટ્રક અને સ્કૂટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ખેડૂતવાસ વિસ્તારમાં ગરીબ શ્રમજીવી પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવની જાણ વેળાવદર ભાલ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર – અમદાવાદ શોર્ટ રૂટ પર છાશવારે જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા રાકેશ ધરમશીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 27 બપોરના સમયે પોતાનું સ્કૂટર નંબર GJ-04-EO-6589 લઈને ભાલપંથકમાં આવેલ બાવળીયાળી ગામ પાસે હિંગળાજ માતાના મંદિરે દર્શન માટે જઈ રહ્યો હતો ત્યારે સનેસ ગામ નજીક ટ્રક નંબર GJ-03- AX- 9796 સાથે સ્કૂટર અથડાતા સ્કૂટર ચાલક રાકેશને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
શ્રમજીવ પરિવારમાં શોકનો માહોલ છવાયો
આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થતા લોકોએ વેળાવદર ભાલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ સ્થાનિકો દ્વારા યુવકના મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ તજવીજ હાથ ધરી છે આ ઘટનાને પગલે ખેડૂતવાસ વિસ્તારમાં ગરીબ શ્રમજીવી પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.



