વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યમાં ‘વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે યોજાયેલી ‘પ્રગતિપથ યાત્રા’ અંતર્ગત ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતનપર ગામની વિશેષ મુલાકાત કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ લીધી હતી.
મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રામજનો સાથે ખૂબ જ આત્મીય અને ભાવસભર સંવાદ સાધવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના સર્વાંગી વિકાસની જીવાદોરી સમાન એવા મીઠા પાણીના બંધારાની રૂબરૂ મુલાકાત લઈ, તેની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી આયોજન અંગે જરૂરી ચર્ચા કરાઈ હતી.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાઘવા, તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, આગેવાન મેહુલભાઈ ડાંગર, તળાજા તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ સોલંકી, તળાજા નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ તેમજ આગેવાન આઈ. કે. વાળા, માછીમાર એસોશિયેશન પ્રમુખ દિનેશભાઈ મકવાણા, પ્રદીપભાઈ શાહ અને રામજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

