હાલમાં કાર્યરતર શિક્ષકોને TET (શિક્ષક પાત્રતા કસોટી)માં સન્માન પૂર્વક મુક્તિ મળે તે માટે ભારતના વડાપ્રધાનશ્રી તથા શિક્ષણમંત્રી સમક્ષ કેન્દ્ર સરકારની યથાયોગ્ય ભૂમિકા માટે આવશ્યક કદમની માંગણી માટે રજૂઆત કરતા વિષય સબબનું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપતા પૂર્વે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ભાવનગરના નવ સંવર્ગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ધરણા કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા અને શહેરના શિક્ષક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં મોતીબાગ મેદાનમાં એકત્ર થયેલ. ત્યારબાદ શિસ્તબધ્ધ રીતે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને કલેકટરને આવેદન આપવામાં આવેલ.
ધરણા સ્થળેથી અ.ભા.રા.શૈ.મહાસંઘ, ભાવનગરના જવાબદાર પ્રતિનિધિઓ દ્વારા ભૂતકાળમાં શિક્ષક હિત માટે મહાસંઘ દ્વારા થયેલ આંદોલનો, ધરણાઓ તથા તેને આનુષંગિક શિક્ષક હિતની ન્યાય સંગત વિવિધ માંગણીઓના સફળ કાર્યક્રમોની માહિતી આપીને ટેટ પરીક્ષા સંદર્ભે પણ કેન્દ્ર સરકારની ભૂમિકા વડે શિક્ષક હિતમા યોગ્ય પરિણામ આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવેલ.એ નોંધનીય છે કે સર્વોચ્ચ અદાલતે મેં માસના એક ચુકાદામાં ટેટ પરિક્ષા સને 2010 પહેલાં દાખલ થયેલાં તમામ માટે ફરજિયાત કરી છે.



