ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવ આલોક કુમાર પાંડેના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી કાર્યો, લોકકલ્યાણકારી યોજનાઓની અમલવારી તેમજ વિવિધ વિભાગોની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન વિવિધ વિભાગો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પોતાના વિભાગની કામગીરી અને પ્રગતિ અંગેની વિગતવાર માહિતી પ્રભારી સચિવ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પ્રભારી સચિવએ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત ફ્લડ કંટ્રોલની પૂર્વ તૈયારીઓ, પાણી પુરવઠાની સ્થિતિ, સિંચાઈ યોજનાઓની અમલવારી, આરોગ્ય સેવાઓ, સર ટી. હોસ્પિટલની કામગીરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલમાં મુકાતી યોજનાઓ, પી.એમ. સૂર્યઘર યોજના, ખેતીવાડી વિભાગની કામગીરી, જિલ્લા આયોજન તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગની વિવિધ પ્રવૃત્તિઓ અંગે પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રભારી સચિવએ વિવિધ વિભાગોના અધિકારીઓને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સુચારૂ આયોજન અને અસરકારક અમલવારી સુનિશ્ચિત કરવા સૂચનો આપ્યા હતા.
બેઠકમાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પ્રાદેશિક નગરપાલિકાની કચેરીના કમિશનર સુનીલ, નાયબ વન સંરક્ષક વાય.એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.




