રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક કરુણ દુર્ઘટના સર્જાઇ છે. અહીં બુધવારે વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ઋષિકેશથી ઈન્દોર જઈ રહેલી એક ખાનગી બસ ટ્રેલર સાથે અથડાયા બાદ રોડ કિનારે ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 મુસાફરોના મોત થયા છે, જ્યારે અન્ય 22 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બસ ચાલકને ઝોકું આવી જવાના કારણે આ મોટો અકસ્માત થયો છે.
આ ઘટના એક્સપ્રેસ-વે પર કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેસ્ટ એરિયા પાસે વહેલી સવારે લગભગ 2:30 વાગ્યે બની હતી. ખાડામાં બસ ખાબકતા જ તેના પાછળના ભાગમાં આગ લાગી હતી અને ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, મોટાભાગના મુસાફરો તે સમયે ગાઢ નિંદ્રામાં હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બસની ઉપરની બર્થ પર સૂતેલા મુસાફરો નીચે પડી ગયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક લોકોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અન્ય મેડિકલ સેન્ટરોમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા પણ વધારે હોવાનું કહેવાય છે. આ ઘટના દરમિયાન 6 મુસાફરોના મોત આગમાં દાઝી જવાને કારણે થયા છે, જ્યારે 2 મુસાફરોના મોત માથામાં ગંભીર ઈજા થવાને કારણે થયા હોવાના સમાચાર છે.
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો. બુધવારે સવારે લગભગ 5 વાગ્યે, એક ઝડપી બસે કાબુ ગુમાવ્યો અને એક કાર સાથે અથડાઈ. ટક્કર બાદ, બસ ડિવાઈડર ગ્રીલ તોડીને ખાડામાં પલટી ગઈ, જેમાં પાંચ લોકોના મોત થયા. આ અકસ્માત બાંગરમાઉ કોતવાલી વિસ્તારમાં 230.800 માઇલસ્ટોન નજીક થયો. સંત કબીર નગરમાં નોંધાયેલી આ કારમાં આઠ લોકો સવાર હતા. તેમાંથી પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકોમાં દિવ્યા (13), અમૃતા (5), અંજુ (40), ધૂનમુન (60) અને ડ્રાઇવર વિનોદ (45)નો સમાવેશ થાય છે. કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને બાંગરમાઉ સીએચસીથી લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા. બસમાં કુલ 85 મુસાફરો હતા, અને બસ પલટી જતાં 17 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં, પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી.






