બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરના બહારના પરિસરમાં શ્રાવણ મહિનામાં સવારે અચાનક નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ કરૂણ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 8 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે લખીસરાયની સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તબીબોના જણાવ્યા મુજબ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના અશોકધામ રેલ્વે સ્ટેશનથી મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર બની હતી. રવિવારે રાત્રે આ માર્ગ પર વીજળીનો એક થાંભલો વાયર સાથે નીચે પડી ગયો હતો.
સોમવારે સવારે મંદિરમાં જલાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં કાવડયાઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન પડી ગયેલા વીજળીના થાંભલામાં કરંટ ફેલાયો હોવાની અફવા શ્રદ્ધાળુઓ વચ્ચે ફેલાઈ ગઈ હતી. આ અફવાને કારણે લોકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા હતા.




