નવીદિલ્હી,
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવ ઘટવાનો ફાયદો હવે ભારતીય ગ્રાહકોને મળવા લાગ્યો છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી ઈંધણ કંપની નાયરા એનર્જી એ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર રૂ.5 અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટરરૂ.3 નો ઘટાડો કર્યો છે. આ નવી કિંમતો 1 જુલાઈ 2026થી તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયગાળામાં ઈંધણના ભાવમાં આ સૌથી મોટો ઘટાડો છે.
કંપનીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ ઓછો થયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો નીચે આવી છે. મુખ્ય દરિયાઈ વેપાર માર્ગો ફરી ખુલવાના કારણે ક્રૂડ ઓઈલ અને એલએનજીનો વૈશ્વિક પુરવઠો સામાન્ય બન્યો છે, જેના લીધે તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.નાયરા એનર્જીએ આ ભાવઘટાડો દેશભરમાં આવેલા તેના 7000 થી વધુ પેટ્રોલ પંપ પર લાગુ કરી દીધો છે. જોકે, અલગ-અલગ રાજ્યોમાં વેટ અને અન્ય સ્થાનિક ટેક્સના કારણે ગ્રાહકો માટે અંતિમ છૂટક કિંમતોમાં થોડો તફાવત હોઈ શકે છે.
*સરકારી કંપનીઓએ હજુ સુધી નથી ઘટાડ્યા ભાવ*
દેશના 90 ટકાથી વધુ પેટ્રોલ પંપનું સંચાલન કરતી સરકારી તેલ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ હજુ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં દિલ્હીમાં ઈન્ડિયન ઓઈલના પંપ પર પેટ્રોલ રૂ.102.12 પ્રતિ લીટર અને ડીઝલ રૂ.95.20 પ્રતિ લીટરના જૂના ભાવે જ મળી રહ્યું છે.





