શિયા-યુક્રેન યુદ્ધે રવિવારે હિંસક વળાંક લીધો, યુક્રેને 822 ડ્રોનથી રશિયા પર હુમલો કર્યો. જવાબમાં રશિયાએ યુક્રેન પર મિસાઈલ છોડી, જેમાં ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલના ‘આર્સેલર મિત્તલ ક્રિવી રિહ’ પ્લાન્ટને નુકસાન થયું અને કામકાજ અટકાવવું પડ્યું. આ હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે.
ચાર વર્ષથી ચાલી રહેલું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું અને રવિવારે આ સંઘર્ષે વધુ હિંસક વળાંક લીધો છે. યુક્રેને રશિયાના વિવિધ વિસ્તારો પર સદીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો હતો, જેના જવાબમાં રશિયાએ પણ યુક્રેનિયન વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. રશિયાના આ જવાબી મિસાઈલ હુમલામાં ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલના ગ્રુપ સાથે જોડાયેલી ફેક્ટરીને મોટું નુકસાન પહોંચ્યું છે, જેના કારણે તેનું કામકાજ આંશિક રીતે રોકી દેવામાં આવ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમણે રાતોરાત યુક્રેનના 822 ડ્રોન નષ્ટ કર્યા હતા. મોસ્કોના મેયર સેર્ગેઈ સોબ્યાનિનના જણાવ્યા મુજબ, લગભગ 600 ડ્રોન રાજધાની મોસ્કો તરફ ધસી રહ્યા હતા, જેમાંથી ત્રીજા ભાગના ડ્રોનને મોસ્કો ક્ષેત્રની ઉપર જ હવામાં ઉડાવી દેવાયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે. આ ઉપરાંત રશિયાના પોડોલ્સ્ક શહેરમાં ઓનલાઈન રિટેલ કંપની વાઈલ્ડબેરીઝના ગોડાઉનમાં આગ લાગી હતી અને રોસ્તોવ ક્ષેત્રમાં 150 થી વધુ ડ્રોન હુમલામાં 5 લોકોના મોત થયા છે.
યુક્રેનના ક્રિવી રિહ શહેરમાં આવેલા ‘આર્સેલર મિત્તલ ક્રિવી રિહ’ પ્લાન્ટ પર રશિયાએ મિસાઈલ હુમલો કર્યો હતો. આ કંપની ભારતીય ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના ‘આર્સેલર મિત્તલ ગ્રુપ’નો ભાગ છે. કંપનીના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે રશિયન મિસાઈલ હુમલાથી તેમની સાઈટને નુકસાન પહોંચ્યું છે અને સુરક્ષાના કારણોસર હાલ પૂરતું કામકાજ અટકાવી દેવાયું છે. જોકે, હજુ સુધી નુકસાનનું આંકલન થઈ શક્યું નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયન મિસાઈલ હુમલામાં ક્રિવી રિહ શહેરમાં 2 લોકોના મોત થયા છે અને 14 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત સૂમી અને દક્ષિણ ઝાપોરિઝ્ઝિયા શહેરમાં અન્ય 3 લોકોના મોત થયા છે. ઝેલેન્સકીએ આક્ષેપ કર્યો હતો કે રશિયા જ્યાં સુધી તેની બેલિસ્ટિક મિસાઈલો પહોંચી શકે છે ત્યાંના તમામ પાયાના માળખાકીય સુવિધાઓને (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) નિશાન બનાવી રહ્યું છે.




