ભાવનગર શહેરમાં ‘અશાંત ધારા’ની કડક અમલવારી કરવામાં આવી રહી છે. અગાઉ આ કાયદાના ભંગ બદલ ભાવનગર જિલ્લાનો પ્રથમ અને રાજ્યનો બીજો ગુનો નોંધી કુલ ૦૬ આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ હતી, જેના પરિણામે ગેરકાયદેસર રીતે ખરીદાયેલી મિલકતો પણ ખાલી કરાવાઈ હતી.
તાજેતરમાં ઘોઘા રોડ પોલીસ મથકમાં અશાંત ધારા એક્ટની કલમ-૬(ડી) અને ભારતીય ન્યાય સંહિતા મુજબ નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મિલકત માલિક ભરતકુમાર કોઠારી (રહે.ઇસ્કોન મેગાસીટી) અને ભાડુઆત દિલશાદબેન શાહ (રહે.સ્નેહ મિલન સોસાયટી) સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ વી.બી. ચૌધરી ચલાવી રહ્યા છે અને પંચનામા સહિતની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી છે.
આ સઘન તપાસ દરમિયાન ભાડુઆત તરીકે વધુ એક શખ્સ પરવેઝભાઇ નઝીરભાઇ બુખારી (રહે. નવાપરા, આશીયાના પાર્ક) નું નામ ખૂલતાં પોલીસ દ્વારા તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીએસઆઈ વી.બી. ચૌધરી સાથે સ્ટાફના ભયપાલસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ ગોહીલ, ચંદ્રસિંહ વાળા, બળદેવભાઇ મકવાણા અને હરપાલસિંહ જાડેજા જોડાયા હતા.
અશાંતધારાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે
આથી તમામ નાગરિકોને જણાવવામાં આવે છે કે, ભાવનગર શહેર વિસ્તારમાં સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી અશાંત વિસ્તાર તરીકે જાહેર કરેલ વિસ્તારમાં કોઇ પણ પ્રકારના અશાંત ધારાના કાયદાનો ભંગ કે ઉલ્લંઘન જણાય આવ્યે તેની માહિતી જિલ્લા પોલીસને જણાવી શકે છે.તેની તપાસ કરી કાયદાકિય કાર્યવાહી કરવા ભાવનગર જિલ્લા પોલીસ કટિબધ્ધ છે.




