આગામી તા.૧૬ના રોજ ભાવનગરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા સંદર્ભે ગત શુક્રવારે શહેર એકતા સમિતિની બેઠક મેયર અને સમિતિના અધ્યક્ષ ઉષાબેન કે. તલરેજાના અધ્યક્ષસ્થાને મળેલ આ બેઠકમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહાનગરપાલિકા કમિશનર એન.કે. મીના, અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, સભ્ય સચિવ અને નાયબ પોલીસ અધિક્ષક આર.વી. ડામોર સહિતના અગ્રણી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં શાંતિ, એકતા અને સદ્ભાવના થકી કોમવાદ અને જ્ઞાતિવાદ જેવા દૂષણોને મૂળમાંથી નાબૂદ કરવાનો હતો. આગામી રથયાત્રા પરંપરા મુજબ શાંતિપૂર્ણ અને ધર્મમય વાતાવરણમાં ઉજવાય તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન, આઈ.જી.પી. આર.વી. અસારીના માર્ગદર્શન હેઠળ ભાવનગર પોલીસ દ્વારા શરૂ કરાયેલી અનોખી પહેલની નોંધ લેવાઈ હતી. “તમામ ધર્મના લોકોના લોહી અને મહેંદીનો રંગ એક જ હોય છે” તેવા પ્રેરણાદાયક સંદેશ સાથે સર્વધર્મ માટે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ અને બહેનો માટેની મહેંદી સ્પર્ધાની સમિતિના અધ્યક્ષ તથા સભ્યોએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
સમિતિના સભ્યો અને વિવિધ જ્ઞાતિના અગ્રણીઓએ વિશાળ જનસમુદાયને તહેવારો ભાઈચારાથી ઉજવવા અનુરોધ કર્યો હતો. અંતમાં, મેયર ઉષાબેન તલરેજાએ પ્રેસ મીડિયા મારફતે સંસ્કારી અને શાંતિપ્રિય ભાવેણાના સૌ નગરજનોને રથયાત્રામાં કોમી એખલાસ અને એકતા જાળવી રાખવા ભાવભરી અપીલ કરી હતી.





