ભાવનગર પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગુનાઓનો ભેદ ઉકેલવા અને નાગરિકોને મદદરૂપ થવા એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની આપેલી સૂચનાને નેત્રમ શાખાએ સાર્થક કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તળાજાના પાદરગઢના રહીશ ભારતુ વિરાભાઈ ભમ્મર (ઉ.વ. ૨૨) ગત તા. ૧૦/૦૭/૨૦૨૬ના રોજ બપોરે વાઘાવાડી રોડથી ઓટો રિક્ષામાં બેસી ઘોઘાગેટ ચોક ઉતર્યા હતા. ઉતાવળમાં તેઓ પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા, જેમાં રૂ. ૧૦૦૦ રોકડા, કપડાં અને અગત્યના દસ્તાવેજો હતા. આ અંગે તેઓએ તુરંત નેત્રમ શાખાનો સંપર્ક કર્યો હતો.ત્યારબાદ ગોહિલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે અરજદારે જણાવેલ સમય અને રૂટના આધારે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.જેમાં જશોનાથ ચોક જંકશનના કેમેરામાં અરજદાર જે રિક્ષા GJ-04-AU-8651માં બેઠા હતા તે કાળુભા રોડ તરફ જતી જોવા મળી હતી. પોલીસે તાત્કાલિક રિક્ષા ચાલકનો સંપર્ક કરી,અરજદારની બેગ અને તમામ સામાન હેમખેમ પરત અપાવીને સરાહનીય કામગીરી કરી છે.






