અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધી રહી છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત સરકારે દેશમાં ઇંધણની તંગી અને મોંઘવારી રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ડીઝલ અને જેટ ઇંધણના નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં મોટો વધારો ઝીંકી દીધો છે. આ નવા દરો આજથી એટલે કે ગુરુવાર, 16 જુલાઈથી જ અમલી બની ગયા છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, ડીઝલના નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ લીટર 8.5 રૂપિયાથી સીધો વધારીને 15.50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિમાનમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે જેટ ઇંધણ પરનો ટેક્સ પણ પ્રતિ લીટર 7.50 રૂપિયાથી વધારીને 14.5 રૂપિયા કરવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ મોંઘું થતાં સરકારે નિકાસને અંકુશમાં લેવા આ પગલું ભર્યું છે.
આર્થિક વિશ્લેષકોના મતે, સરકારના આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ દેશની અંદર પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણની કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે. જો સરકાર નિકાસ પરનો ટેક્સ ન વધારે, તો ભારતની ખાનગી રિફાઇનિંગ કંપનીઓ વધુ નફો કમાવવાની લાલચમાં સ્થાનિક બજારમાં સપ્લાય કરવાને બદલે વિદેશોમાં ઇંધણ મોકલવાનું વધારી દે. જો એવું થાય તો ભારતમાં ઓઇલની ભારે તંગી સર્જાય અને મોંઘવારી આસમાને પહોંચી શકે છે, જેને રોકવા સરકારે આ વ્યૂહનીતિ અપનાવી છે.
નિકાસ પર ટેક્સ વધવાને કારણે રિફાઇનરી કંપનીઓ માટે વિદેશમાં ડીઝલ વેચવું મોંઘું પડશે, જેથી તેઓ સ્થાનિક બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવશે. દેશમાં ડીઝલનો પૂરતો સ્ટોક રહેવાથી માલસામાનની હેરફેરનો ખર્ચ (ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ) સ્થિર રાખવામાં મદદ મળશે. આના કારણે સામાન્ય જનતા પર જીવનજરૂરી ચીજવસ્તુઓની મોંઘવારીનો સીધો અને તાત્કાલિક બોજ નહીં પડે.
બીજી તરફ, જેટ ઇંધણ પર નિકાસ ટેક્સ વધારવાના કારણે દેશની સ્થાનિક એરલાઇન્સ કંપનીઓ માટે ઇંધણની અછત નહીં સર્જાય. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ મોંઘું થવાને કારણે વૈશ્વિક બજારમાં જેટ ઇંધણની કિંમતો ઊંચી રહેશે. આ સ્થિતિને જોતાં આગામી દિવસોમાં એરલાઇન્સ કંપનીઓ ભાડામાં વધારો કરી શકે છે, જેનાથી સામાન્ય લોકો માટે હવાઈ સફરની ટિકિટો મોંઘી થવાની પૂરેપૂરી શક્યતા છે.






