ભાવનગર જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ગુરુવારે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન દિવસે મેઘરાજાએ ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભાવનગર શહેરમાં હળવો વરસાદ વરસતા રથયાત્રાના પર્વ પર વરસાદે જાણે શુકન સાચવ્યા હતા. વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ધરતીપુત્રોએ આ વરસાદથી મોટી રાહત અનુભવી છે.
વરસાદના આગમન સાથે જિલ્લાના અલગ-અલગ પંથકોમાં મેઘમહેર જોવા મળી હતી.જેમાં વલભીપુર પંથકમાં સવા ઇંચ, પાલીતાણા પંથક અને ઉમરાળા પંથકમાં અડધાથી પોણો ઇંચ તેમજ ગારિયાધાર અને મહુવા પંથકમાં 6- 6 મી.મી. વરસાદ પડ્યો હતો.અને ભાવનગર શહેરમાં હળવા ઝાપટા વરસ્યા હતા.
વરસાદના આ આગમનથી સમગ્ર વિસ્તારના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભાવનગર જિલ્લામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી લોકોને ગરમી અને બફારામાંથી છુટકારો મળ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ગુરુવારે રાત્રિના સમયે ભાવનગર શહેરમાં ભેજનું પ્રમાણ ૭૯% નોંધાયું હતું. આ ઉપરાંત, વાતાવરણમાં સરેરાશ ૧૨ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. લાંબા વિરામ બાદ વરસાદની ફરી શરૂઆત થતાં ખેડૂતોના પાકને જીવતદાન મળવાની આશા બંધાઈ છે.




