કહેવાય છે કે જ્યારે કુદરત રુઠે તો મોટી આફત લાવે છે તેનું ઉદાહરણ નેપાળમાં દેખાયું. નેપાળમાં અચાનક આવેલી ભયાનક પૂરની હોનારતે હાહાકાર મચાવી દીધો. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 626 જેટલા લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે આશરે 2,500થી વધુ લોકો હજુ ગુમ હોવાના અહેવાલ છે. પૂરના તીવ્ર પ્રવાહ અને કાદવ-કીચડ અને કાટમાળના કારણે કૌશિકી અને ભોટેકોશી નદી કિનારાની અસંખ્ય વસાહતો, રસ્તાઓ, પુલ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ જમીનદોસ્ત થઈ ગયા છે.દરમિયાન રાહત કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

વિનાશક જળપ્રલય અને ફ્લેશ ફ્લડથી ઝૂઝી રહેલા નેપાળમાં વિદેશી મદદ સ્વીકારવા અંગે ઉભા થયેલા વિવાદો વચ્ચે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રી શિશિર ખનાલ અને વડાપ્રધાન બાલેન શાહે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, નેપાળે કોઈ મિત્ર દેશ કે આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદ લેવાની ક્યારેય ના પાડી નથી. શનિવાર સુધીના આંકડા મુજબ આ ભયાનક આપત્તિમાં 626 જેટલા લોકોના મોત નીપજ્યા છે અને 2500થી વધુ લોકો હજુ પણ પહાડી વિસ્તારો તથા ટનલોમાં કાટમાળ નીચે ફસાયેલા કે ગુમ છે.
નેપાળ સરકારના જણાવ્યા અનુસાર, દુર્ગમ પહાડી વિસ્તારો અને સ્થાનિક ભૌગોલિક સ્થિતિથી નેપાળી સેના, પોલીસ અને સશસ્ત્ર પોલીસ બળના જવાનો વધુ સારી રીતે પરિચિત છે. અજાણ્યા અને જોખમી ઇલાકાઓમાં સીધા વિદેશી દળોને ઉતારવાથી તાલમેલ અને ટેકનિકલ મુશ્કેલીઓ ઊભી થવાનું જોખમ હતું. આથી પ્રારંભિક તબક્કામાં બચાવ કામગીરી ઝડપી બનાવવા પોતાના 15,000થી વધુ સ્થાનિક સુરક્ષા દળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારત અને ચીન પાસે મદદ માંગી
પૂરના પાણીમાં રસુવા અને નુવાકોટ જિલ્લાના ત્રણ ડઝનથી વધુ પુલો વહી જતાં સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. આ માર્ગોને તાત્કાલિક ફરી ધબકતા કરવા માટે નેપાળે ભારત અને ચીન પાસે 42 ‘બેલી બ્રિજ’ (ઝડપથી તૈયાર થતા અસ્થાયી પુલ) બાંધવા માટે વિનંતી કરી છે.ભારતે આવા બ્રિજ નેપાળ મોકલી પણ દીધા છે.
ભારતે તરત જ બતાવ્યું ઉદાર દિલ
નેપાળની હાકલ પડતાં જ ભારતે તાત્કાલિક સહાયનો હાથ લંબાવ્યો છે. ભારતે અત્યાર સુધીમાં 57.5 ટનથી વધુ રાહત સામગ્રીની ત્રણ ખેપ એરફોર્સના વિમાનો મારફતે કાઠમંડુ પહોંચાડી છે. આ સિવાય ટનલ રેસ્ક્યૂ માટે નિષ્ણાતોની ટીમ, 11 સભ્યોની તબીબી ટુકડી અને બેલી બ્રિજ નિર્માણ માટેની વિશિષ્ટ ટેકનિકલ ટીમો પણ રવાના કરી દીધી છે.
નદીમાં બનેલી કૃત્રિમ તળાવથી ફરી પૂરનો ભય
પહેલી તબાહી બાદ હવે નદીના ઉપરી હિસ્સામાં કાટમાળ જમા થવાને કારણે સર્જાયેલું કૃત્રિમ સરોવરે નવી ચિંતા ઉપજાવી છે. સેટેલાઇટ તસવીરો મુજબ, આ ડેમ જેવા બનેલા સરોવરમાં આશરે 20 લાખ ક્યુબિક મીટર પાણી એકઠું થઈ ગયું છે અને આગામી દિવસોમાં વધુ પાણી ઉમેરાવાની ભીતિ છે. જો આ કુદરતી દીવાલ તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર અચાનક જળપ્રલય આવી શકે છે.






