રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે પંજાબની આપ સરકાર હવે બદલાની રાજનીતિને ડ્રાફ્ટ મતદાર યાદી સુધી લઈ આવી છે.તેમણે ઉમેર્યું કે,હું પંજાબથી રાજ્યસભાનો વર્તમાન સાંસદ છું અને મારું વોટર આઈડી પંજાબના મોહાલીમાં રજિસ્ટર્ડ છે.
આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો આંચકો લાગ્યો છે.પંજાબમાં ચાલી રહેલા મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ દરમિયાન રાઘવ ચઢ્ઢાનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાપી નાંખવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આ કાર્યવાહી પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. જોકે,આ સમગ્ર મામલે રાઘવ ચઢ્ઢાએ વાંધો ઉઠાવ્યો છે.આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવીને તેમણે પંજાબ સરકારને ઘેરી છે.
પંજાબમાં મતદાર યાદીની ખાસ ગહન સુધારણા ઝુંબેશ 25 જૂન 2026થી શરૂ કરવામાં આવી હતી.રાજ્યમાં લગભગ 23 વર્ષ બાદ આ પ્રક્રિયા ફરી શરૂ થઈ છે જેનો મુખ્ય હેતુ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાર યાદીને સંપૂર્ણપણે સુધારવા અને અપડેટ કરવાનો છે.આ પ્રક્રિયા દરમિયાન સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.ચૂંટણી પંચની પ્રક્રિયા અનુસાર રાઘવ ચઢ્ઢાનું નામ ASSD કેટેગરીમાં નોંધવામાં આવ્યું છે.ASSD એટલે કે ગેરહાજર, સ્થળાંતરિત.તેમના કિસ્સામાં આ સ્ટેટસ કાયમી ધોરણે સ્થળાંતરિત દર્શાવવામાં આવ્યું છે.
આ મામલે રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે પંજાબની આપ સરકાર હવે બદલાની રાજનીતિને ડ્રાફ્ટ મતદાર યાદી સુધી લઈ આવી છે.તેમણે ઉમેર્યું કે,હું પંજાબથી રાજ્યસભાનો વર્તમાન સાંસદ છું અને મારું વોટર આઈડી પંજાબના મોહાલીમાં રજિસ્ટર્ડ છે.છતાં પણ ડ્રાફ્ટ મતદાર યાદીમાં મારું નામ શિફ્ટેડ દર્શાવવામાં આવ્યું છે. ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું કે આ માત્ર ડ્રાફ્ટ મતદાર યાદી છે આખરી યાદી નથી.દાવાઓ અને વાંધાઓની પ્રક્રિયા દરમિયાન નામોમાં સુધારો કરવામાં આવે છે અને તે પ્રક્રિયા અત્યારે ચાલુ છે.આખરી મતદાર યાદી ઓક્ટોબર 2026માં જાહેર કરવામાં આવશે.તેઓ SIR માર્ગદર્શિકા હેઠળ ઉપલબ્ધ ઉપાયોનો ઉપયોગ કરી રહ્યા છે. આ કોઈ ભૂલ નથી પરંતુ સ્પષ્ટપણે રાજકીય બદલાની ભાવના છે.






