ઓગસ્ટ 2026માં ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં ફરીથી દારૂબંધીની ચર્ચા શરૂ થઈ હતી. ભાવનગરમાં આલ્કોહોલ મિશ્રિત નકલી દારૂ પીવાના કારણે અનેક લોકોની તબિયત લથડી હતી, જેમાં 13 લોકોના મોત નીપજ્યા હતા અને 50થી વધુ લોકોને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.એફએસએલ રિપોર્ટમાં દારૂના નમૂનાઓમાં આશરે 38.5% ઝેરી મિથાઈલ આલ્કોહોલ મળી આવ્યું હતું, જે સીધું મોતનું કારણ બન્યું હતું. દારૂ બનાવનાર મુખ્ય આરોપી નરેન્દ્ર યાદવનું પણ આવો દારૂ પીવાથી મોત નીપજ્યું હતું. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ લોકો અસુરક્ષિત અને ઝેરી દારૂના સેવનથી બચવા માટે લોકો હવે કાયદેસરની હેલ્થ પરમિટ તરફ વળી રહ્યા છે.
નશાબંધી અને આબકારી ખાતાના સત્તાવાર આંકડાઓ મુજબ, ઓગસ્ટ 2025ની સરખામણીએ ઓગસ્ટ 2026માં લિકર હેલ્થ પરમિટધારકોની
સંખ્યામાં લગભગ 88.9 ટકાનો તોતિંગ ઊછાળો નોંધાયો છે. એપ્રિલ 2026માં ઘટીને માત્ર 11 થઈ ગયેલી પરમિટની સંખ્યા ઓગસ્ટ મહિનામાં સીધી
323 પર પહોંચી ગઈ છે. ઝેરી દારૂને કારણે જીવ ગુમાવવાના ડર અને પોલીસની કડકાઈને કારણે પરમિટધારકોમાં કાયદેસર ‘પીવા’ તરફ ઝૂકાવ
જોવા મળ્યો છે. સિવિલમાં 8 મહિનામાં 2,670 લોકોએ દારૂની હેલ્થ પરમિટ લીધી છે. જેમાં 155 મહિલાઓએ પણ મંજૂરી મેળવી છે. વર્ષ 2025ના ઓગસ્ટની સરખામણીએ વર્ષ 2026ના ઓગસ્ટમાં નવા પરમિટ ધારકો તેમજ રિન્યુઅલ કરાવનારાની સંખ્યામાં લગભગ બમણો વધારો નોંધાયો હતો.
રાજ્યમાં અલગ અલગ કેટેગરીમાં આશરે 50 હજારથી વધારે માન્ય પરમિટ ધારક છે. અમદાવાદ શહેરમાં 14,700 લિકરપરમિટ ધારકો છે. જ્યારે સુરત શહેરમાં 9000 અને રાજકોટમાં આશરે 4300 છે. જ્યારે વડોદરામાં 3200થી વધારે છે જ્યારે જામનગરમાં 2200થી વધારે છે. ગાંધીનગરમાં 1600 જેટલા લોકો પાસે લિકર પરમિટ છે. ગુજરાત ‘ડ્રાય સ્ટેટ’ હોવાથી દારૂના વેચાણ અને સેવન પર સખત પ્રતિબંધ છે. તેમ છતાં, ચોક્કસ નિયમો અને પરમિટ સિસ્ટમ દ્વારા કેટલાક લોકોને છૂટછાટ મળે છે.





