રાજ્યમાં હમણાંથી અનેક સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને મહાદેવ વિશે નિવેદનો આપવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, હિન્દુ દેવી-દેવતાઓ અંગે ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સનાતન ધર્મના લોકો, સંતો અને કથાકાર દ્વારા નિવેદનની ટીકા કરવામાં આવી રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ આપેલા નિવેદનને લઇને કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ માર્મિક ટકોર કરી છે.
તેમણે ભગવાન શંકર વિશે ટીપ્પણી કરનારા સંતોને સુધરી જવા માટે ચેતવણી આપી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની હાજરીમાં ભાઈશ્રીએ ભોળાનાથ વિશે બોલનારા સંતોને ચેતવણી આપી હતી અને સાધુ સમાજને ટાંકીને કહ્યુ હતુ કે, જો સાધુઓ વિફર્યા… કહીને આવી ટીપ્પણીઓ રોકવા જણાવ્યુ હતું. કથાકાર રમેશ ઓઝાએ વ્યાસપીઠ પરથી આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, મહાદેવથી મોટું કોઇ ન હોય. સનાતન ધર્મનું વાતાવરણ ન બગાડવું જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આવા નિવેદનોનો વિરોધ કરવો જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે, પણ જે ખોટું ચિતરાયું છે, લખાયું છે તેને દુર કરવું જોઇએ. તમારા ધર્મમાં શ્રદ્ધા રાખો પરંતુ બીજાને નીચા દેખાડીને નહિ.
કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ વધુમાં જણાવ્યું હતું કે, મહાદેવની ટિપ્પણીથી ખૂબ જ વ્યથિત થયો છું. આનંદ સાગર સ્વામીની ટિપ્પણી અંગે વિરોધ કરો. હું પ્રાર્થના કરું છું, પ્રણામ કરું છું, અનુરોધ કરું છું. તમે સૌ સંપ્રદાયના સંતો તેમનો વિરોધ કરો. કેટલાકે વિરોધ કર્યો તેને હું વંદન કરું છું. આવું બોલાઇ રહ્યું છે તેનું કારણ છે કે, કેટલાક ચોપડા ચીતરાયા છે આવા, કૃપા કરીને આવા ચોપડાને કાઢો, તે ખોટા ચીતરાઇ ગયા છે.