વડાપ્રધાન મોદીની ભાવનગર જિલ્લાની સૂચિત મુલાકાતને લઈને મંગળવારે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી.
આ બેઠકને સંબોધતાં કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, આપણાં માટે સૌભાગ્યની વાત છે કે, ગત વર્ષે ભારતના રાષ્ટ્રપતિની મુલાકાત બાદ સંભવતઃ આગામી ટૂંક સમયમાં વડાપ્રધાન ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર તેની મહેમાન નવાજી માટે જાણીતું છે ત્યારે વિશ્વના લોકપ્રિય નેતા એવાં વડાપ્રધાન ભાવેણાની ધરતી પર પધારી રહ્યાં છે ત્યારે તેમની આગતાં- સ્વાગતામાં કોઇ કમી ન રહેવી જાેઇએ.
કલેક્ટર વડાપ્રધાનના આગમન, સ્વાગત, સ્ટેજ, વાહનવ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, પાર્કિંગ, પીવાનું પાણી, સેનીટેશન, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, તંત્ર માટે આ એક અવસર છે અને તેને આપણે સુપેરે પાર પાડવાનો છે તેને લઇને તલસ્પર્શી આયોજન સાથે વ્યવસ્થા ગોઠવવાં માટેનું તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, બાડાના સી.ઇ.ઓ. આર.આર. ડામોર, નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર, એ.એસ.પી. સફિન હસન, નિવાસી અધિક કલેક્ટર બી.જે. પટેલ તથા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.