અખિલ ભારતીય અખાડા પરિષદ તરફથી દ્વારકા-શારદા તેમજ જયોતિષપીઠના શંકરાચાર્ય રહેલા સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીને મરણોપરાંત ભારતરત્ન સન્માન આપવાની માંગ કરાઈ છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદના ધર્મ પ્રચારના કાર્યો, આંદોલનો પર અખાડા પરિષદના અધ્યક્ષ તેમજ મનસા દેવી મંદિર ટ્રસ્ટના મહંત રવિન્દ્રપુરી મહારાજે કેન્દ્ર સરકારનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે જણાવ્યું હતું કે શંકરાચાર્યે રક્ષા માટે અનેક મોટા આંદોલનના માધ્યમથી સમાજને તાકાત આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શંકરાચાર્યે સનાતન ધર્મની ધ્વજાને ઉંચાઈ અપાવવામાં પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાંખ્યું હતું. અયોધ્યામાં રામમંદિર નિર્માણ આંદોલન હોય કે શિરડી સાંઈ મંદિર અને ઈસ્કોન મંદિર વિવાદ હોય, તેઓ હંમેશા સનાતની હિન્દુ સમાજના વિકાસ અને રક્ષા માટે સંઘર્ષરત રહ્યા છે. તેમને ભારતરત્નથી વિભૂષિત કરાશે તો સંત સમાજનું ગૌરવ વધશે. અખાડા પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી અને પંચ દશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય સંરક્ષક મહંત હરિગીરીએ પણ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ મહારાજને ભારતરત્નથી સન્માનીત કરવાની માંગ કરી છે.