જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. રાજુ શ્રીવાસ્તવે આજે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. હાર્ટ અટેક આવ્યા બાદ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 ઓગસ્ટના રોજ એઈમ્સમાં ભરતી થયા બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો દેખાતો નહોતો. વર્કઆઉટ કરતી વખતે કોમેડિયન અચાનક ઢળી પડ્યા હતા. કાર્ડિયક અરેસ્ટ થયા બાદ રાજુ શ્રીવાસ્તવના મગજ પર પણ અસર થઈ, જેના કારણે તેમનું બ્રેન ડેમેજ થઈ ગયું હતું. લાંબી સારવાર બાદ આજે તેમણે 58 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પોતાના હુનરથી લોકોને ખડખડાટ હસાવનાર રાજુ શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના રહેવાસી હતા. મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવ કરોડોની સંપત્તિ છોડીને ચાલ્યા ગયા.
25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરના એક મધ્યમવર્ગીય પરિવારમાં રાજુ શ્રીવાસ્તવનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમેશચંદ્ર શ્રીવાસ્તવ હતું, તેઓ પોતે એક કવિ હતા અને બલાઈ કાકા તરીકે જાણીતા હતા. રાજુ શ્રીવાસ્તવ નાનપણથી જ સારી મિમિક્રી કરતા હતા. રાજુ શ્રીવાસ્તવે નાનપણમાં જ કોમેડિયન બનવાનું સપનું જોયું હતું. આ સપનું સાકાર કરવા માટે રાજુ શ્રીવાસ્તવે રાતદિવસ તનતોડ મહેનત કરી, તેમણે ઘણા સ્ટેજ શૉ, ટીવી શોમાં કામ કર્યું. ત્યારે તેમને આ સફળતા હાથ લાગી.
સ્ટેજ શૉ, ટીવી શૉ સિવાય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રાજુ શ્રીવાસ્તવ ઘણા વર્લ્ડના કોમેડી શૉ, એવોર્ડ હોસ્ટ અને જાહેરાતો દ્વારા ઘણી કમાણી કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ કોમેડી શૉ અને ફિલ્મોમાં અભિનય કરીને લાખો રૂપિયા કમાતા હતા. રાજુ શ્રીવાસ્તવે ઓડિયો કેસેટ અને વીડિયો સીડીની એક સિરીઝ પણ લૉન્ચ કરી હતી.