આંદોલન પર ઉતરેલા આરોગ્યકર્મીઓને લઇ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આરોગ્યકર્મીઓને રૂ.4 હજારનો ઉચ્ચક પગાર વધારો મળશે. ટ્રાવેલ્સ એલાઉન્સ અને 130 દિવસના રજા પગાર અપાશે. બે દિવસમાં રાજ્ય સરકાર માંગણી સ્વીકારવાનો ઠરાવ કરશે.આ જાહેરાત કરતાં સરકારે આરોગ્ય કર્મચારીઓને સેવા પર પરત ફરવા વિનંતી કરી છે.
મહત્વનું છે કે છેલ્લા 42 દિવસથી આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતર્યા હતા. જે બાદ આંદોલન માટે રચાયેલી 5 મંત્રીઓની કમિટી સતત આરોગ્યકર્મીઓના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. કારણ કે કર્મચારીઓની હડતાળને લઇ અનેક સેવાને અસર પડી રહી છે. ટીબી, મેલેરિયા, ચીકનગુનિયા, કોરોનાની કામગીરી પર અસર થાય છે. PM JAY કાર્ડ કઢાવવાની કામગીરીમાં પણ વિલંબ જોવા મળી રહ્યો છે. જેથી સરકારે આડકતરી રીતે એ પણ કહ્યું છે કે ઉપરોક્ત નિર્ણયનો લાભ તેણે જ મળશે જે આવતીકાલની સેવામાં જોડાશે.
ગુજરાતના 33 જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવા પંચાયતના આરોગ્યલક્ષી તમામ કર્મી તેમજ ફિલ્ડ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે