ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નજરકેદ હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. હજારો લોકો ટ્વિટર પર #XiJinping હેશટેગને ટ્વિટ કરી રહ્યાં છે. ભારતીય અને ચાઈનીઝ બંને યુઝર્સ આ હેશટેગને સતત પોસ્ટ કરી રહ્યા છે. ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વિટ કર્યું છે. મોટી વાત એ છે કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને સરકારી મીડિયા તેની પુષ્ટિ કરી નથી કે તેને નકાર્યા પણ નથી.
પૂર્વ સાંસદે લખ્યું- ચીનને લઈને નવી અફવા છે, જેની તપાસ થશે. શું શી જિનપિંગ નજરકેદ છે? એવું માનવામાં આવે છે કે જિનપિંગ તાજેતરમાં સમરકંદમાં હતા ત્યારે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓને સેના પ્રમુખ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ અફવા છે કે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે.
ચીનના ઘણા યુઝર્સ પણ દેશમાં બળવાની અપેક્ષા રાખી પોસ્ટ કરી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ શી જિનપિંગને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવીને સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે લી કિયાઓમિંગને ચીનના નવા રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે.
ચીનના પબ્લિક સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના પૂર્વ ઉપપ્રધાનને મોતની સજા ફટકારવામાં આવી છે. ભૂતપૂર્વ ઉપપ્રધાન સન લિજુન પર તેમના પદનો અયોગ્ય લાભ લેવાનો આરોપ હતો. પોતાના 20 વર્ષના કાર્યકાળ દરમિયાન સને 646 મિલિયન ગ્રીક (700 કરોડ રૂપિયા)ની લાંચ લીધી અને ભ્રષ્ટાચાર ફેલાવ્યો. ચીનની ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, સન લિજુન પાસેથી તમામ રાજકીય અધિકારો પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને સંપત્તિને સીલ કરી દેવામાં આવી છે. બે વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ ફરીથી વિચાર કરવામાં આવશે. ફાંસીની સજાને બદલે આજીવન કેદની સજા થઈ શકે છે. અન્ય ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, સનને શિસ્ત અને કાયદાના ગંભીર ઉલ્લંઘન બદલ કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.