વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ બુધવારે ભારતની મેઈડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી ચાર કફ સિરપને લઈને ચેતવણી જારી કરી છે. WHOએ ચેતવણીમાં જણાવ્યું કે, આ કોલ્ડ-કફ સિરપ ગામ્બિયામાં 66 બાળકોના મૃત્યુ અને કિડનીની ગંભીર સમસ્યાઓ માટે જવાબદાર હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર, આ સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલની અસ્વીકાર્ય માત્રા હોવાની પુષ્ટિ થઈ છે, જે મનુષ્યો માટે અત્યંત જોખમી છે.
એક મેડિકલ પ્રોડક્ટ એલર્ટ જારી કરતા WHOએ કહ્યું, ‘ચારેય કફ સિરપના સેમ્પલના લેબોરેટરી ટેસ્ટમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલની અસ્વીકાર્ય માત્રા મળી આવી છે.’ WHOએ કહ્યું કે, દૂષિત ઉત્પાદનો અત્યાર સુધી માત્ર ગામ્બિયામાં જ મળી આવ્યા છે, પરંતુ તે અન્ય દેશોમાં પણ વિતરિત થવાની શક્યતા છે. હાલમાં WHO કંપની અને રેગ્યુલેટરી ઓથોરિટીની સાથે આ અંગે તપાસ કરી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, દૂષિત ઉત્પાદનોમાં પ્રોમિથાઈજિન ઓરલ સોલ્યૂશન (Promethazine Oral Solution), કોફેક્સમેલિન બેબી કફ સિરપ (Kofexmalin Baby Cough Syrup), મૈકૉફ બેબી કફ સિરપ (Makoff Baby Cough Syrup) અને મૈગ્રિપ એન કોલ્ડ સિરપ (Magrip N Cold Syrup)ના નામ સામેલ છે.
WHOએ આ ઉત્પાદનોના ઉપયોગને અસુરક્ષિત ગણાવ્યો
WHOનું કહેવું છે કે, આ કોલ્ડ-કફ સીરપ અત્યાર સુધી માત્ર ગામ્બિયામાં જ મળી આવી છે, પરંતુ ઈનફૉર્મલ માર્કેટ દ્વારા તેના અન્ય દેશોમાં પહોંચવાની શક્યતાઓ પણ છે. WHO દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ ઉત્પાદનોના ઉપયોગને અસુરક્ષિત ગણાવવામાં આવ્યો છે. ખાસ કરીને આ દવાઓ બાળકો માટે ઘણી ખતરનાક સાબિત થઈ શકે છે. જેના કારણે લોકોને ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તેના ઉપયોગથી લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી આવી કોઈપણ દવાનો ઉપયોગ કરશો નહીં.