ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પ્રચારમાં આમ આદમી પાર્ટીએ પુરી તાકાત લગાવીને મેદાનમાં ઉતરી છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને આ ચૂંટણીમાં પહેલી વાર નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી એક બીજા પર પ્રહાર કરવાનો એકેય મોકો છોડતા નથી.આ તમામની વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે ગુજરાતનો પ્રવાસ કરવા અને અહીંની સરકારી સ્કૂલો જોવાનું નિમંત્રણ આપ્યુ હતું, જેનો સ્વિકાર સિસોદીયાએ કર્યો છે અને આશા રાખી છે કે, ભાજપના નેતાઓ તેનાથી પલ્ટી નહીં મારે.
સિસોદિયાએ કહ્યું કે, ભાજપ ગુજરાત અધ્યક્ષ સીઆર પાટીલે મને ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લેવા અને ત્યાંની સુવિધાઓ જોવા માટે બોલાવ્યા છે. હું તેમના નિમંત્રણનો સ્વિકાર કરું છું અને ઈચ્છુ છું કે, તેઓ ફટાફટ અમને મુલાકાતની તારીખ આપે. અમે ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના મતવિસ્તારથી શરુઆત કરીશું. અને બાદમાં સમગ્ર રાજ્યની અન્ય સરકારી સ્કૂલો પણ જોઈશું.