મહારાષ્ટ્રના નાસિકમાં શનિવારે સવારે થયેલા એક દુ:ખદ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે. આ ઘટના નાશિક શહેરની હદમાં બની હતી. નાશિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા પાસે લક્ઝરી બસ કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી, જેના પગલે બસમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
યવતમાલથી મુંબઈ જઈ રહેલી બસમાં 40થી વધુ લોકો સવાર હતા. અકસ્માત સમયે સ્લિપર બસમાં કેટલાક લોકો સૂતા હતા. બસ આગનો ગોળો બની ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ, બસો અને અન્ય વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.