ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માથે આવતા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આટાંફેરા પણ વધી ગયા છે. બે દિવસ અગાઉ ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ અમદાવાદ-ભાવનગર હાઈવેના વખાણ કર્યા હતા. ત્યારે હવે આ રસ્તા મામલે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી મંત્રીને રસ્તાની વાસ્તવિકતા જણાવી છે.
ભાવનગર કોર્ટના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત દેશના કાયદા મંત્રી કિરણ રિજ્જુએ કર્યું હતું. તેઓ અમદાવાદથી ભાવનગર બાયરોડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે એક ટ્વીટ કરીને ગુજરાતના રસ્તાના વખાણ કર્યા હતા. સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો હતો. તેમના ટ્વીટ પર ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે.
મંત્રીઓ આવે ત્યારે થાય છે રસ્તાનું સમારકામઃ જયવીરરાજસિંહ ગોહીલ
તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. જો કે, શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખખડધજ હાલતમાં છે અને મોટાભાગે ભાજપના મંત્રીઓ જ્યારે આવે છે, ત્યારે જ તેનું સમારકામ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તમે બધા અવારનવાર અમારી મુલાકાત લેશો જેથી રસ્તાઓ સુધરતા રહે. ભાવનગર યુવરાજના ટ્વીટને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે.