દિલ્હી પોલીસના દક્ષિણ-પૂર્વ જિલ્લા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રભારી ગોપાલ ઈટાલિયાને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ તેઓને છોડી દેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેને તેના સમર્થકને સાથે લાવવાનું કારણ પૂછવામાં આવ્યું હતું, પરંતુ તે તેનો સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.
દક્ષિણ-પૂર્વ જિલ્લા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાના વાઈરલ વિડિયો પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. આ પછી ગોપાલ ઇટાલિયાને ગુરુવારે જસોલા સ્થિત રાષ્ટ્રીય મહિલા આયોગના કાર્યાલયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, તે લગભગ 40-50 સમર્થકો સાથે રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસે પહોંચ્યા હતા. અહીં સમર્થકોએ હંગામો કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આયોગના એક અધિકારીએ આ અંગે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે સરિતા વિહાર પોલીસ સ્ટેશને તેને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પૂછપરછ બાદ મોડી સાંજે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આ મામલે દિલ્હી પોલીસ અધિકારીઓએ ગુરુવારે મોડી સાંજ સુધી બોલવાનું ટાળ્યું હતું.