નાઈજીરિયામાં છેલ્લા એક દાયકામાં આવેલા સૌથી ભયાનક પૂરે હાલ દેશમાં તબાહી મચાવી છે. આ પૂરમાં અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ગઇકાલે જાહેર કરવામાં આવેલા નવા આંકડામાં આ વિશે માહિતી આપવામાં આવી હતી. નાઇજીરીયાના એક મંત્રાલયે ટ્વિટર કરીને એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે આ આપત્તિએ 1.3 મિલિયનથી વધુ લોકો એટલે કે 13 લાખથી વધુ લોકોને બેઘર થવા માટે મજબૂર કરી દીધા છે.
ફેડરલ મિનિસ્ટર ઓફ હ્યુમાનીટી અફેર્સના મંત્રી સાદિયા ઉમર ફારુકે જણાવ્યું હતું કે, ’16 ઓક્ટોબર, 2022 સુધી પૂરને કારણે 603થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે આ પહેલા ગયા અઠવાડિયા સુધી આ મૃત્યુઆંક 500 હતો. પણ અમુક રાજ્ય સરકારોએ પૂરનો સામનો કરવા માટે પૂરતી તૈયારી નહતી કરી અને તેના કારણે મૃત્યુઆંક વધ્યો છે.’ ઉમર ફારુકે આગળ જણાવ્યું હતું કે ‘પૂરના કારણે 82,000 થી વધુ ઘરો અને લગભગ 110,000 હેક્ટર ખેતીની જમીન સંપૂર્ણપણે નાશ પામી છે.’
નાઈજીરિયા આબોહવા પરિવર્તનથી ઘણો અસરગ્રસ્ત
નાઈજીરિયામાં સામાન્ય રીતે વરસાદની ઋતુ જુનની આસપાસ શરૂ થાય છે અને આ વખતે ઓગસ્ટ પછી વરસાદ થયો હતો. વર્ષ 2012માં આવેલ આવા જ ભયાનક પૂરમાં 363 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 21 લાખથી વધુ લોકો બેઘર બન્યા હતા. ઉપ-સહારા આફ્રિકામાં આવેલો આ દેશ આબોહવા પરિવર્તનથી ઘણો અસરગ્રસ્ત છે. તેની અર્થવ્યવસ્થા પહેલા જ રુસ-યુક્રેન યુદ્ધને કારણે ઘણી કટોકટીમાંથી પસાર થઈ રહી છે. આ સાથે જ દેશના ચોખા ઉત્પાદકોએ ચેતવણી આપી છે કે વિનાશક પૂરના કારણે દેશમાં લગભગ 20 કરોડ લોકોને વધતી મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે.